Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

જ્ઞાનના સ્રોતો અને પ્રકારો

 જ્ઞાનના સ્રોતો અને પ્રકારો 
Sources & Types of Knowledge




જ્ઞાનના સ્રોત : 

જ્ઞાનની પ્રક્રિયા અવિરતપણે અને અનિવાર્યપણે ચાલતી પ્રક્રિયા છે. એરિસ્ટોટલ મનુષ્યના જીવનમાં બૌદ્ધિક પ્રવૃત્તિને સર્વશ્રેષ્ઠ પ્રવૃતિ ગણે છે અને જ્ઞાન એ આ સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિની આડપેદાશ છે. ગીતામાં કહ્યું છે તેમ नहि ज्ञानेन सदृश पवित्रमिह विद्यते એટલે કે આ લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું નથી. જ્ઞાન ક્યાંથી મળે ? એ પ્રશ્નનો સરળ જવાબ છે કે, બધેથી જ્ઞાન મળે છે. મનુષ્ય જયારે પણ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા થાય છે. જીવનનો પ્રત્યેક અનુભવ જ્ઞાનમાં વૃદ્ધિ કરતો રહે છે. ઓશો કહે છે તેમ 'ज्ञान को खोने का कोई उपाय नहीं' મનુષ્ય જીવનપર્યત ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક એમ અનેક રીતે કંઈક ને કંઈક જાણતો રહે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇનના મતે "The Only Source Of Knowledge is Experience" એટલે કે, જ્ઞાનનો એકમાત્ર સ્રોત અનુભવ છે.


તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જ્ઞાનના સ્રોત : 


1. ગુરુમત કે શાસ્ત્રપ્રમાણ (Autority) :

         આપણા જ્ઞાન - માહિતી જાણકારીનો મહદંશે કોઈક અધિકૃત (Autority) સાબિતીમાંથી નિષ્પન્ન થયેલો હોય છે. તેના વિના આધુનિક સભ્યતા કદાચ કાર્યશીલ બની પણ ન શકે. તેમ છતાં જ્ઞાનની માહિતીની પ્રમાણભૂતતા સંબંધી તાત્ત્વિક સમસ્યાઓ ઉદ્દભવે છે. આ સમસ્યાઓ જેમ જેમ તથ્થાત્મક માહિતી વધુ ને વધુ પ્રગટ પ્રમાણમાં ઉપલબ્ધ થતી જાય તેમ તેમ વધુ જટિલ બનતી જાય છે. ઘણા વિચારકો કેળવણીની અધ્યયન પ્રક્રિયામાં ગુરુમત કે શાસ્ત્ર પ્રમાણનું મહત્ત્વ ઘણું ઊંચું હોવાનું માને છે. તેમના મતે, શિક્ષકે આવા આધિકારિક જ્ઞાનને સુયોજિત સ્વરૂપે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવું જોઈએ. 

2. સામાન્ય બુદ્ધિ (Common Sense) : 

        જ્ઞાનનો બીજો સ્રોત સામાન્ય બુદ્ધિ કે સમજ છે. મનુષ્ય જે પરંપરાઓ અને રીતરિવાજો સાથે સંકળાયેલો છે - તેની સાથે સામાન્ય સમજ જોડાયેલી છે. સામાન્ય જ્ઞાન એટલે એવું જ્ઞાન જે સમાજનો પ્રત્યેક સભ્ય જાણતો હોય. દા.ત., શુકન - અપશુકન, રસ્તાની ડાબી બાજુએ ચાલવું, જમ્યા પછી હાથ ધોવા વગેરે. અહીં સામાન્ય સમજને યોગ્ય સમજ સાથે ગૂંચવી નાખવાની ભૂલ ન કરવી જોઈએ. 

3. અન્તઃપ્રજ્ઞા - આન્તરસૂઝ (Intuition) :

         અન્તઃપ્રજ્ઞા એટલે કોઈપણ જાતના અનુમાન કે તર્કના અવલંબન વિના તત્કાલ થતું આકલન (Apprehension), કે પ્રજ્ઞાન (Cognition) અન્યનાં મન બાહ્યજગત, વિશ્વના અંશો, મૂલ્યો કે તર્કનિષ્ઠ સત્યો જેવાં શેય વિષયોના તત્કાલ અને સીધેસીધા આકલનને અન્તઃપ્રજ્ઞા આંતરસૂઝ કહેવામાં આવે છે. આ શબ્દ ક્યારેક નિઃસંશય અને અવર્ણનીય એવા અનુભવની કાચી સામગ્રીની સભાનતા બનાવવા માટે પ્રયોજાય છે. સામેના માણસના વર્તનને સમજવામાં માણસની અન્તઃપ્રજ્ઞા જ સવિશેષ ઉપયોગી થતી હોય છે. ટૂંકમાં, અન્તઃપ્રજ્ઞા સરળતાથી ન સમજાય તેવી પ્રજ્ઞાનની પ્રક્રિયા છે. તે આનુભવિક અને તાર્કિક પૃથક્કરણના કરતાં વધુ જટિલ અને ખૂબ સીધી રીતે સ્પર્શતી પ્રક્રિયા છે. અન્તઃપ્રજ્ઞા જ્ઞાનનો પ્રાથમિક સ્રોત છે. તેને ઇન્દ્રિય અનુભવ કે તર્કની જેમ વર્ણન દ્વારા સ્પષ્ટ કરી શકાતી નથી. 


4. તર્કબુદ્ધિ (Reasoning) : 

તર્કયુક્તતા (Reasoning) કે વિચાર જ જ્ઞાનનું કેન્દ્રવર્તી તત્ત્વ છે, એવું બુદ્ધિવાદ માને છે. જ્ઞાનના સ્વરૂપે કંઈપણ નક્કી થતાં પૂર્વે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સંવેદનોની કાચી સામગ્રી મન દ્વારા અર્થપૂર્ણ તરાહોની વ્યવસ્થામાંથી પસાર થવી જોઈએ. માણસ માત્ર સંવેદનાજનિત કાચા અનુભવને જ જાણતો નથી. પણ તે અર્થપૂર્ણ વિચારો, વિભાવનાઓ, નિયમો જેવા જટિલ સ્વરૂપે જાણે છે. તેથી વિચાર મહત્ત્વપૂર્ણ જ્ઞાનનો સ્રોત બની શકે છે. 

5. પ્રગટીકરણ (Revealation) : 

પ્રગટીકરણને આવિર્ભાવ પણ કહેવામાં આવે છે. આવિર્ભાવના સ્રોત તરીકે ઈશ્વરને ગણવામાં આવે છે. જ્ઞાન ઈશ્વર દ્વારા જ આવિર્ભત છે. એ ગૃહીતને સ્વીકારી લેવામાં આવે છે. ઈશ્વરીય સંદેશ ઝીલનાર તે સંદેશને સસ્પેષિત કરે છે, એવું માનવામાં આવે છે. ક્યારેક કેટલીક વ્યક્તિઓ સ્વપ્નમાં પ્રકાશરૂપે જ્ઞાન પ્રાપ્ત થયું એવું જણાવે છે તો ઘણાં ઈશ્વરના પ્રકાશરૂપે જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનો દાવો કરે છે. 


6. ઇન્દ્રિય અનુભવઃ 

અનુભવાશ્રિત જ્ઞાન એટલે અવલોકન કે એવા જ બીજા ઇન્દ્રિય અનુભવના બોધ પર આધારિત યુક્તિયુકતતા દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. ચુસ્ત અનુભવવાદીઓનું મંતવ્ય એવું છે કે, ઇન્દ્રિયાનુભવ વિનાનું મન તો કોરું જ હોય, તેથી સ્વતઃ પ્રમાણિત સિદ્ધાંતો કહેવાતાં તાર્કિક સત્ય સુદ્ધાનું જ બધું જ્ઞાન મૂલતઃ અનુભવાશ્રિત જ હોય છે.

મનોવિજ્ઞાનની દષ્ટિએ જ્ઞાનના સ્રોત 

1. આંતરક્રિયા : 

મનોવિજ્ઞાનની દષ્ટિએ જ્ઞાનના સ્રોત તરીકે આંતરક્રિયા લેવામાં આવે છે જે એક વ્યક્તિની અન્ય વ્યક્તિ કે પર્યાવરણ સાથેની આંતરક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. આ જ્ઞાનનો સ્રોત વ્યક્તિના આંતરિક મનોભાવો અને બાહ્યવર્તન એમ બંને પ્રકાર સાથે સંકળાયેલ છે. આ સ્રોત મનુષ્યના આવેગો, સંવેગો, મન, ગમા - અણગમા, રસ, વલણ વગેરેને આવરી લે છે. જ્ઞાનનો આ સ્રોત વ્યક્તિને બે સ્તરે મદદ કરે છે. એક તો તે પોતે પોતાના મનોભાવો અને વર્તનને ઓળખી શકે છે વાતાવરણ સાથેની આંતરક્રિયા દરમિયાન પોતે જે પ્રતિચાર આપ્યો છે, તે અંગે વિચારવામાં તેને મદદ મળે છે અને બીજું, તે અન્ય વ્યક્તિના વર્તન અને મનોભાવોને ઓળખવામાં મદદ કરે છે. એક વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિ કે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, ત્યારે તેનામાં મનોવૈજ્ઞાનિક જ્ઞાનનું નિર્માણ થાય છે. 
મોટાભાગના જ્ઞાનનો સ્રોત અનુભવ આધારિત હોય છે.


2. નિયંત્રિત અનુભવઃ 

બુદ્ધિવાદીઓના મતે જ્ઞાનનો સ્રોત બુદ્ધિ છે તો અનુભવવાદીઓ જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાનના ઉદ્ભવસ્થાન ગણે છે. જ્ઞાનપ્રાપ્તિની વૈજ્ઞાનિક પદ્ધતિ અનુભવના સિદ્ધાંતને માન્ય કરતી પદ્ધતિ હોવાથી એ જ નિયંત્રિત અનુભવ એ જ્ઞાનનો સ્તોત્ર બને છે. 


વિધાનપરક જ્ઞાનના સ્રોત 
Sources of Propositional Knowledge : 


1. વિજ્ઞાનવિષયક જ્ઞાન : વિજ્ઞાનનું જ્ઞાન હકીકત (Fact) આધારિત છે તથ્યો (Facts) આધારિત જ્ઞાનનાં વિધાનો સત્ય કે અસત્ય સ્વરૂપે રજૂ થયેલાં હોય છે. દા.ત., પાણીને ગરમ કરતાં તેની વરાળ બને છે.

2. તાર્કિક જ્ઞાનઃ આ જ્ઞાનના સ્ત્રોતમાં ચોક્કસ પરિણામની આગાહી કરતાં વિધાનો હોય છે. દા.ત., વીજળીનો ચમકારો થયો એટલે ગડગટાડ થશે. 
3. આનુભવિક જ્ઞાન : અનુભવો દ્વારા નિર્માણ પામેલ જ્ઞાનનો આ સ્ત્રોત માહિતીપ્રધાન હોય છે. તેને ચકાસી પણ શકાય છે. જેમ કે, સવારમાં વહેલા ઉઠી કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. 
4. સામાજિક જ્ઞાન : સમાજ સાથેની આંતરક્રિયામાંથી ઉદ્ભવેલો જ્ઞાનનો સ્રોત છે. દા.ત, સમાજમાન્ય વર્તન કરવું જોઈએ. 
5. વ્યક્તિગત જ્ઞાન : દરેક વ્યક્તિનું પોતાના વિશેનું જ્ઞાન એ પણ જ્ઞાનનો સ્રોત કહી શકાય. જો કે તેનું સામાન્યીકરણ કરી શકાતું નથી. વ્યક્તિના ગમા - અણગમા, વલણ, સંવેગો, અનુભવો તેના પોતાના જ્ઞાનના સ્રોત બને છે. 
6. આર્થિક બાબતોનું જ્ઞાન : આર્થિક વ્યવહારોનું જ્ઞાન પણ મહત્ત્વનો જ્ઞાનનો સ્ત્રોત છે. 
7. કૌટુંબિક જ્ઞાન : પોતાના કુટુંબ વિશેની માહિતી એ જે - તે વ્યક્તિના કૌટુંબિક જ્ઞાનનો સ્રોત બને છે. 

અન્ય સ્રોત : 

1. શિક્ષણ : 

         પ્રાચીનકાળથી વર્તમાન સમય સુધી જ્ઞાનપ્રાપ્તિ માટે મનુષ્ય કરેલી વિશેષ વ્યવસ્થા એટલે શિક્ષણ શિક્ષણ એ “જ્ઞાન” નો પર્યાય નથી. પરંતુ શિક્ષણનું શાશ્વત કાર્ય જ્ઞાનનું સર્જન અને જ્ઞાનનું વિતરણ કરવાનું છે. જ્ઞાન શિક્ષણનું સહજ સ્વાભાવિક અને અનિવાર્ય ધ્યેય મનાયું છે. મનુષ્ય શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા હોય ત્યારે પ્રાપ્ત થતું જ્ઞાન મોટેભાગે વિષયલક્ષી હોય છે. 

       પરંતુ, અનૌપચારિક રીતે જ્ઞાન મેળવવામાં આવે ત્યારે તે જીવનલક્ષી હોય છે. આ ઉપરાંત શિક્ષણના વિવિધ સ્વરૂપો જેવા કે અવૈધિક (Non - formal) શિક્ષણ, આજીવન શિક્ષણ, નિરંતર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ પણ જ્ઞાનના સ્રોતો કહી શકાય.


2. પરિસ્થિતિ (પારિસ્થિતિક જ્ઞાન) (Situational) : 

         જ્ઞાનના સ્રોત તરીકે જયારે પરિસ્થિતિને લઈએ ત્યારે ઉદ્ભવેલ જ્ઞાન પરિસ્થિતિજન્ય અથવા પરિસ્થિતિક જ્ઞાન તરીકે ઓળખી શકાય. જીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓમાં પ્રાપ્ત થયેલા અનુભવો શૈક્ષણિક અનુભવો કરતાં વધારે વિશાળ અને મહત્ત્વના હોય છે. જીવનનું ખરું ઘડતર અનૌપચારિક અનુભવો દ્વારા જ થાય છે. કહેવાય છે ને કે, અનુભવથી મોટો બીજો કોઈ શિક્ષક નથી. પરિસ્થિતિ દ્વારા અનુભવેલું જ્ઞાન જીવન જીવતાં શીખવે છે. જ્ઞાનપ્રાપ્તિનો તેથી આ મહત્ત્વનો સ્ત્રોત છે. 

3. સંકલ્પના આધારિત (Conceptual) : 

        જ્ઞાનપ્રાપ્તિની નીપજ (Outcomes) એટલે સંકલ્પના. આપણે જેટલા શબ્દો જાણીએ છીએ તે દરેકની ચોક્કસ સંકલ્પના હોય છે. સંકલ્પના એટલે વિશિષ્ટ અનિવાર્ય કે લાક્ષણિક ગુણધર્મોનો સમૂહ, જ્ઞાનપ્રાપ્તિ કોઈપણ માર્ગે થઈ હોય, પરંતુ છેવટે જે જ્ઞાન નિર્માણ પામે છે તે “સંકલ્પના” સ્વરૂપે હોય છે. તમામ જ્ઞાન સંકલ્પનાત્મક જ્ઞાન કહીએ તો પણ ખોટું નથી. 
         સંકલ્પનાત્મક જ્ઞાનને આપણે જ્ઞાનના એક સ્ત્રોત તરીકે લઈએ ત્યારે સંકલ્પના પ્રાપ્તિ દરમિયાન જે પ્રક્રિયા થાય તે પ્રક્રિયાને આપણે સ્રોત તરીકે લઈ શકીએ. બૅનરના મતે સંકલ્પનાઓ આપણને આસપાસની દુનિયાની વસ્તુઓ ઓળખવામાં મદદ કરે છે. 

4. વ્યુહરચના (Strategy) : 

          વ્યુહ એ લાંબાગાળાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની ક્રિયાઓનું આયોજન હોવાથી જ્ઞાનપ્રાપ્તિનો મહત્ત્વનો સ્રોત બની રહે છે. યૂહરચના ત્યારે ઉત્પન્ન કરવામાં આવે છે જયારે કોઈ સમસ્યા કે પસંદગી કરવાની હોય છે. જ્યારે કોઈ પરિસ્થિતિનું આકલન કરીએ, પસંદગીના ભવિષ્યલક્ષી પરિણામોનું ચિંતન કરીએ, ધ્યેયનિર્ધારણ કરીએ ત્યારે વ્યુહરચનાઓ ઘડવી જરૂરી છે. બૂહરચના કરતી વખતે થયેલ ચિંતન પ્રક્રિયાઓ ભવિષ્યનો જ્ઞાનનો સ્રોત બની રહે છે.

જ્ઞાનના પ્રકારો (Types of Knowledge) : 


         માનવીય અનુભવોમાં જ્ઞાન એક સાથે સરળતમ અને ગહનતમ છે. જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા આદિમાનવથી શરૂ કરી અત્યારના સામ્ય સમાજના માનવીમાં નિરંતર ચાલતી આવી છે. જ્ઞાનપ્રાપ્તિ અનિવાર્યપણે ચાલતી. નિરંતર પ્રક્રિયા છે. જ્ઞાન સરળ પણ છે અને સંકુલ પણ છે. મનુષ્ય ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જ્ઞાનનાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરેલાં છે. જ્ઞાનની ગંગોત્રી અવિરત વહેતી રહે છે. આજે મેળવેલું જ્ઞાન આવતીકાલે જૂનું થઈ જાય છે. પ્રવર્તમાન મક શાનના વિસ્ફોટ (Knowledge Explosion) નો છે, ત્યારે જ્ઞાનના પ્રકારો કોને ગણવા અને કોને ન ગણવા, એ પણ મૂંઝવતો પ્રશ્ન બની રહે છે. અહીં જ્ઞાનના વિવિધ પ્રકારોની ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. 

જ્ઞાનના પ્રકારો : 

         જ્ઞાનના અનેક દૃષ્ટિએ પ્રકારો ખેડવામાં આવ્યા છે. પ્રાચીન ભારતીય પરંપરામાં જ્ઞાનના બે પ્રકારો છે. (1) વિદ્યા (પરા વિદ્યા) (2) અવિદ્યા (અપરા વિઘા) આત્મા, પરમાત્મા, બ્રહ્મ વિશેનું જ્ઞાન વિદ્યા છે અને જગત વિશેનું જ્ઞાન અવિદ્યા છે. 
         શાળા - કોલેજોમાં જ્ઞાનના પ્રકારો વિષયોના સ્વરૂપમાં વ્યક્ત થાય છે ભાષા, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા જેવા વિષયો એ શૈક્ષણિક જ્ઞાનના પ્રકારો છે. ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે વિવિધ વિદ્યાશાખા જેવી કે ભૌતિક વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાનો, માનવવિદ્યા અને સામાજિક વિજ્ઞાનોમાં પણ જ્ઞાનને વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનોએ ફિલસૂફીનું જ્ઞાન, ગાણિતિક જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન, સૌંદર્યાત્મક જ્ઞાન અને નૈતિક જ્ઞાન એવા પ્રકારો પણ દર્શાવ્યા છે. 
         જહોન વ્હાઈટે વિદ્યાર્થી કેન્દ્રી ત્રણ પ્રકારના જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે : (1) વિદ્યાર્થીનું પોતાનું હિત શામાં રહેલું છે તે અંગેનું જ્ઞાન (2) પોતાનું હિત સાધવાનાં સાધનો અને માર્ગ અંગેનું જ્ઞાન (3) હિતની સાધનામાં આવતા અવરોધો અંગેનું જ્ઞાન. 

એક અન્ય દૃષ્ટિકોણથી જ્ઞાનના બે પ્રકારો શૈક્ષણિક સાહિત્યમાં જાણીતા છે.

 (1) તથ્યો, સત્યો વિશેનું જ્ઞાન (Conceptual Knowledge) : 

અમુક બાબત શું છે, તે અંગેનું જ્ઞાન તેને અંગ્રેજીમાં 'Knowing that' કહે છે. આ પ્રકારનું જ્ઞાન બોલીને કે લખીને રજૂ થઈ શકતું હોવાથી તે કથનાત્મક કે શાબ્દિક માહિતી પણ કહેવાય. 

(2) પ્રવિધિગત જ્ઞાન : 

અમુક કાર્ય શી રીતે થાય, તે અંગેનું જ્ઞાન તેને અંગ્રેજીમાં 'Knowing How' કહે છે. આ પ્રકારનું જ્ઞાન કશુંક કાર્ય કરીને કે સમસ્યા ઉકેલીને જ દર્શાવી શકાય, તેથી તેને પ્રવિધિગત જ્ઞાન કહે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.