Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

કારક અભિસંધાનનો સિદ્ધાંત - સ્કીનર

કારક અભિસંધાનનો સિદ્ધાંત 




 કારક અભિસંધાન : સ્કિનર
 (Operant Conditioning or Instrumental Conditioning) : 


         બુરહાસ ફ્રેડરિક સ્કિનરનો જન્મ પેન્સિલવેનિયા રાજયના સકહાના શહેરમાં 1904 માં થયો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1931 માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી અને મિનેસોટા તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં તેમજ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. 
        તેમણે માનવ વર્તનનો અભ્યાસ ઊંડાણથી કર્યો હતો. તેથી તેઓ વર્તનવાદી (Behaviourist) મનોવિજ્ઞાની તરીકે સુપ્રસિદ્ધ થયા. તેમણે 15 જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમાં Science of Human Behaviour નામનું પુસ્તક અતિ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમના અભ્યાસો અને પ્રયોગો મુખ્યત્વે પ્રાણીઓની તાલીમ, શિક્ષણ તેમ જ બાળ ઉછેર પર કેન્દ્રિત રહ્યા છે.
         સ્કિનરના મંતવ્ય મુજબ, જયાં કોઈ પ્રતિચાર અવલોકી શકાય તેવા હોય ત્યાં સરળ અધ્યયનને સમજવા માટે શાસ્ત્રીય અભિસંધાન પૂરતું નથી. આપણા મોટા ભાગનાં વર્તનો તે પ્રકારનાં હોતાં નથી. ચાલવું, બોલવું, વાંચવું - આ ક્રિયાઓ વર્તનોને શાસ્ત્રીય અભિસંધાન દ્વારા સમજાવી શકાતાં નથી. આથી સ્કિનરે પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન દ્વારા જુદો પડતો કારક અભિસંધાન (Operant Conditioning or Instrumental Conditioning) નો સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંતને ક્રિયા પ્રસ્તુત અથવા સાધનભૂત અભિસંધાન પણ કહેવામાં આવે છે.
         સ્કિનરને પાવલોવના ઉત્તેજક અને પ્રતિચારમાં શ્રદ્ધા ન હતી. પાવલોવ અભિસંધાન માટે અવેજીરૂપ ઉદ્દીપકની હાજરી અનિવાર્ય ગણે છે, જયારે કિનર સુદંઢક (બદલારૂપ ઉદીપક) ની હાજરી અનિવાર્ય ગણે છે. તે અભિસંધાનની વ્યાખ્યા નીચે મુજબ કરે છે . 
(1) “જે ક્રિયા ( પ્રતિચાર દ્વારા બદલો મળે તેવી ક્રિયા (પ્રતિચાર) નું જયારે સુદઢક (બદલારૂપ ઉત્તેજક) (Reinforcer) ની સાથે જોડાણ થાય ત્યારે તેની જોડાણ ક્રિયાને અભિસંધાન કહેવામાં આવે છે. 
(2) કારક અભિસંધાન એ એવા પ્રકારનું અધ્યયન છે, જેમાં પ્રતિપોષણને કારણે પ્રતિચાર મળવાની શક્યતા વધે છે.” 
     પોતાના સિદ્ધાંતને પરિપુષ્ટિ કરવા માટે સ્કિનરે કેટલાક પ્રયોગ કર્યા છે. આ પ્રયોગો જોઈએ તે પહેલાં કારક અભિસંધાનની પ્રક્રિયા અને પ્રયોગને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી અનિવાર્ય છે. 


 કારક અભિસંધાન સંબંધિત સંકલ્પનાઓ : 


(1) આણેલાં વર્તનો (કૃત્રિમ વર્તનો) (Elicited Behaviour) : 
         આ એવા પ્રકારનાં વર્તનો છે કે જેને માટે કોઈ જાણી શકાય તેવા અથવા ઓળખી શકાય તેવા ઉદ્દીપકો જવાબદાર હોય છે. જેમ કે, લાળનું ઝરવું, હૃદયના ધબકારા વધવા, ભય લાગવો વાગવાથી હાથ ખસેડી લેવો વગેરે. આવાં વર્તનો જે શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતોમાં અનભિસંધિત યા સાહજિક પ્રતિચારો તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકીનાં મોટા ભાગનાં વર્તનો અનૈચ્છિક હોય છે. આ વર્તનોમાં ઉદ્દીપકો સ્પષ્ટ છે અને વર્તનો અનિયંત્રિત હોય છે. 

(2) આપન્ન વર્તનો (Emitted Behaviour) : 

          આ એવા પ્રકારનાં વર્તનો છે કે જેમને કોઇ જાણમાં હોય તેવા કે નક્કી કરી શકાય તેવા ખાસ ઉદીપકો સાથે સાંકળી ન શકાય. જેમકે, ચાલવું, કૂદવું, પરિસ્થિતિમાંથી ભાગી છૂટવું વગેરે. આ વર્તનો ઐચ્છિક યા જાગૃત વર્તનો છે. આવાં વર્તનોને માટેનો ઉદ્દીપક અસ્પષ્ટ છે, તેનો હેતુ સ્પષ્ટ અને નિયંત્રિત હોય છે.

(3) કારક અભિસંધાન (Operant conditioning) :
          સ્કિનરે પ્રાણીઓનાં સાહજિક યા કુદરતી વર્તનોનો અભ્યાસ કરતાં અનુભવ્યું કે, પ્રાણીઓ કેટલાંક વર્તનો અતિ સ્વાભાવિક અને સાહજિક રીતે કરે છે. જ્યારે જ્યારે આવાં વર્તનોને કુદરતી રીતે જ પ્રતિપોષણ મળે છે ત્યારે તે વર્તન વધુ રૂઢ બને છે. કારક અભિસંધાન એટલે પ્રાણી કોઇપણ કારણસર વર્તન કરે ત્યારે તે વર્તનને જો પ્રતિપોષણ મળે તે વર્તન વધુ રૂઢ બને છે. અહીં આપન્ન વર્તન અને પ્રતિપોષણ આપનાર ઉદીપક વચ્ચે અભિસંધાન થાય છે. આ અભિસંધાનમાં સાહજિક યા આપન્ન પ્રતિચારક (Operant) નું પ્રતિપોષણ આપનાર ઉદ્દીપક વચ્ચે અભિસંધાન થતું હોવાથી તેને કારક અભિસંધાન (Operant Conditioning) કહેવામાં આવે છે. અહીં પ્રાણી વર્તન દ્વારા કંઈક બદલો કે પ્રતિપોષણ પ્રાપ્ત કરે છે. તેનો સાધન તરીકે ઉપયોગ પણ કરે છે તેથી તે Instrumental Conditioning પણ કહેવાય છે. 
         આમ કારક અભિસંધાનમાં સુદઢીકરણની આપન્ન પ્રતિચારો ફરીથી મળે છે. હવે સુદઢીકરણ કરનાર સુદંઢકોની સંકલ્પના અને તેના પ્રકારો જોઈશું. 
અધ્યયન અને  સુદઢકો (પ્રતિપુષ્ટી) (Learning and Reinforcers) : 
       સુદઢકો એ એવા ઉદીપકો છે જેના દ્વારા બદલો મેળવી શકાય છે. જો વ્યક્તિને કોઈ કાર્ય બદલ બદલો આપવામાં આવે તો તે બદલારૂપ સુદંઢક કહી શકાય. સુદેઢકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? 

[1] કોઈપણ પ્રતિચારોને પ્રબળ બનાવે છે તેને સુદઢક કહેવામાં આવે છે. 
[2] સુદંઢક એ પ્રબલન છે. 
[3] "Any environmental event that is programmed as a consequence of a response that can increase the rate of responding is called a reinforcer." 
જેના દ્વારા વ્યક્તિની પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને સુદંઢક કહેવામાં આવે છે. 
[4] કોઈપણ પ્રતિચારને પ્રબળ બનાવવા કે દૃઢ કરવા માટે જે પુરસ્કાર કે શિક્ષા અપાય તેને સુદંઢક કહેવામાં આવે છે. 

સુદઢકોના પ્રકાર : 

વિધાયક સુદઢક યા પુરસ્કાર (Positive Reinforcer or Award) :
           જે વર્તન કરવાથી પુરસ્કાર યા સારો બદલો મળે તેનું વર્તન કરવા પ્રાણી પ્રેરાય છે. આ પ્રકારની ક્રિયા વારંવાર કરવા પ્રાણીને ઇચ્છા થાય છે. હકારાત્મક કે વિઘાયક સુદઢક પ્રાણીને વારંવાર પ્રતિચાર આપવા પ્રેરે છે. ભૂખ્યા માણસ માટે ખોરાક એ વિધાયક સુદંઢક છે. 

નકારાત્મક સુદંઢકો (Negative Reinforcers) :
           નકારાત્મક સુદઢક પ્રાણીને કે વ્યક્તિને ખરાબ પ્રતિચાર આપતાં અવરોધે છે. જો વિદ્યાર્થી ધૂમ્રપાન કરતો હોય અને તેને તેનાં મિત્રો અલગ પાડી દે તો તે ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે. માતા-પિતા નાખુશ ન થાય તે માટે વિદ્યાર્થી ગૃહકાર્ય કરવા બેસી જાય છે. નકારાત્મક સુદઢકો અમુક પ્રતિચારો આપતાં રોકે છે. 

શિક્ષા (Punishment) : 

            આમ તો આ નિષેધક સુદઢક છે, પરંતુ નિષેધક સુદઢક અને શિક્ષા બન્નેમાં સૂક્ષ્મ તફાવત છે. નિષેધાત્મક સુદઢક વ્યક્તિને વર્તન કરતાં રોકે છે. એટલે તે પ્રતિચાર પહેલાંની પ્રક્રિયા છે. જેમકે વિદ્યાર્થી વર્ગમાં તોફાન કરે છે તો શિક્ષક તેને શિક્ષા કરે છે. આ શિક્ષા થયા પછી તે તોફાન કરવાનું માંડી વાળે છે. શિક્ષાના ભયથી તોફાન ન કરે તે નિષેધાત્મક સુદઢક છે, પરંતુ તે તોફાન કરે શિક્ષા થાય અને ત્યારબાદ તોફાન ન કરે તો પ્રતિચાર થયા પછીનો સુદંઢક કહેવાય. આમ તો શિક્ષા એ પણ નિષેધાત્મક સુદંઢક છે. 

સુદઢકોના અન્ય પ્રકારો : 
        સુદંઢકો (Reinforcer) ના ઉપરોક્ત પ્રકારો જોયા પછી કેટલાક મનૌવૈજ્ઞાનિકો આ સુદઢકોને અન્ય પ્રકારે પણ વર્ગીકૃત કરે છે. 
( 1 ) પ્રાથમિક સુદંઢકો 
( 2 ) દ્વિતીય કક્ષાના અથવા અભિસંધિત સુદંઢકો 

પ્રાથમિક સુદંઢકો ( Primary reinforcers ) : 
           જે સુદઢકો પ્રાણીની પ્રાથમિક કે સાહજિક જરૂરિયાતોને સંતોષે છે તો પ્રાથમિક સુદંઢકો છે. જેમ કે ભૂખ, તરસ, જાતીય સંતુતિ વગેરે પ્રાથમિક સુદંઢકો છે. સ્કિનર આને પ્રાથમિક સુદંઢકો ગણાવે છે. આ સુદંઢકોની ઉપસ્થિતિને લીધે પ્રતિચાર મજબૂત થાય છે. આવાં સુદંઢકો તાલીમ વિના પણ અસકારક બને છે. બીજા પ્રકારના પ્રાથમિક સુદંઢકો નકારાત્મક સુદંઢકો છે. આવા સુદંઢકોને પરિસ્થિતિમાંથી દૂર કરવામાં આવે તો પ્રતિચાર ત્વરિત થાય છે.

દ્વિતીય કક્ષાના સુદંઢકો (Secondary Reinforcers) : 
જે પ્રબલન અથવા સુદંઢક અગાઉના શિક્ષણ કે તાલીમ પર આધાર રાખે છે તે દ્વિતીય કક્ષાના સુદંઢકો છે. જેમકે પ્રતિષ્ઠા, ધન પ્રાપ્તિ, હોદો વગેરે દ્વિતીય કક્ષાના સુદંઢકો છે. આ સુદંઢકો પ્રાથમિક સુદંઢકોની જેમ કુદરતી કે પ્રાકૃતિક જરૂરિયાતોને સંતોષી શકતા નથી. તે કુદરતી નથી, પરંતુ અર્જિત છે. તેથી આવા સુદંઢકો દ્વિતીય કક્ષાના સુદઢકો કહેવાય છે. સ્કિનને આના પર સંશોધનો કર્યા છે. 
સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગો : 
         સ્કિનર કારક વર્તનનાં અવલોકનો માટે પ્રાણીઓ પસંદ કર્યા છે. તેના અભ્યાસનાં પાત્રો તરીકે પ્રાણીઓનો વધુ ઉપયોગ થયો છે. તેણે કારક વર્તનો અને સુદઢકો વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે કબૂતર અને ઉંદરને પસંદ કર્યો છે. કારક અભિસંધાન વિશેના બે પ્રયોગો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 

કબૂતર પરનો પ્રયોગ : 


સ્કિનર કબૂતર પર કરેલા પ્રયોગમાં નીચેનાં સોપાનોને અનુસર્યા છે. 
  • કબૂતરને ભૂખ્યું રાખવામાં આવ્યું. 
  • તેને નિયત અવકાશવાળી લંબચોરસ પેટીમાં રાખવામાં આવ્યું. 
  • તેમાં ચાંચ મારવાની જગ્યા, ખોરાક મેળવવાની જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
  • લંબચોરસ પેટીમાં એક બાજુ આહારકોષ રાખવામાં આવ્યો હતો. 
  • જો આહારકોષની ઉપરની બાજુએ રાખવામાં આવેલી ગોળાકાર ચાવી દબાય તો આહારકોષમાંથી તરત જ ખોરાકની પ્રાપ્તિ થાય. 
  • ખોરાક મેળવવા કબૂતરે આમ તેમ ચાંચ મારવાના પ્રયત્નો કર્યા. 
  • આમ કરતાં કરતાં એકવાર આકસ્મિક રીતે તેણે ગોળાકાર ચાવી પર ચાંચ મહરતાં ચાવી દબાઈ ગઈ. 
  • તેના પરિણામે આહારકોષમાં રાખેલ ખોરાક તે પામી શક્યું. 
  • આ પ્રકારના સફળ પ્રતિચાર પછી કૂબૂતરને વારંવાર ચાંચ મારીને ચાવી દબાવવાની ક્રિયા કરી.
  • તેને ખોરાક ફરીથી પ્રાપ્ત થયો. 
  • આથી કબૂતરની ચાંચ મારવાની વારંવારિતા (Frequency) વધતી ચાલી. 

આ પ્રયોગ પરથી જોઈ શકાય છે કે ... 
કબૂતરનું વારંવાર ચાંચ મારવાને પરિણામે બદલારૂપ ખોરાક મળવો. 
આથી ચાંચ મારવાની ક્રિયા (બદલો મળવાની ક્રિયા) અને ખોરાકની પ્રાપ્તિ (સુદઢક - બદલારૂપ ઉત્તેજક) વચ્ચે અભિસંધાન થયું. 
આમ પરિસ્થિતિનું પુનરાવર્તન થતાં આપન્ન પ્રતિચાર (ચાંચ મારવી) અને સુદઢક (ખોરાક) વચ્ચે અભિસંધાન થાય છે, આ કારક અભિસંધાન છે. 
ઉંદર પરનો પ્રયોગ : 


સ્કિનરે ઉંદર પર કરેલા પ્રયોગમાં નીચેનાં સોપાનોને અનુસરવામાં આવ્યાં હતાં. 

  • ઉંદરનું વજન તેના મૂળ વજનથી 50 ટકા જેટલું થાય ત્યાં સુધી તેને ભૂખ્યો રાખવામાં આવ્યો. 
  • ત્યારબાદ તેને એક પેટીમાં મૂકવામાં આવ્યો, જેમાં એક હાથો અને ખોરાક માટેના કપની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
  • પેટીમાં તેને થોડા સમય કંઈ પણ કર્યા વગર રહેવા દેવામાં આવ્યો.
  • પેટીની રચનામાં એક બાજુ પર દબાવી શકાય તેવો એક સળિયો (Bar) ગોઠવવામાં આવ્યો. 
  • જો સળિયો દબાય તો તેની સામેના કાણામાંથી ખોરાકની ગોળી (Pallet) બહાર આવી પડે.
  • ભૂખ્યો ઉંદર પેટીમાં આમતેમ ફરવા લાગ્યો.
  • અચાનક એકવાર ઉંદરે સળિયા પર પગ મૂકતાં સળિયો દબાયો અને કાણામાંથી ખોરાકની ગોળી બહાર પડી.
  • આમ એકવારના સફળ પ્રતિચાર પછી ધીમે ધીમે સળિયો દબાવવાની ઉંદરની ક્રિયા - વારંવારિતા (Frequency) વધતી ગઈ. 
ઉપરોક્ત પ્રયોગ પરથી જોઈ શકાશે કે, સળિયો દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે અભિસંધાન થયું. સળિયો દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે ક્રિયા અને પરિણામનો સંબંધ સ્થાપિત થયો. આથી આ ક્રિયા પ્રસૂત અભિસંધાન કહેવાય છે. 
ઉપરોક્ત બંને પ્રયોગોથી સાબિત થાય છે કે જો બદલો આપવાનું બંધ કરી દેવામાં આવે તો અભિસંધાન નાબૂદ થાય છે. આને નિરભિસંધાન (Deconditioning) પણ કહેવામાં આવે છે. જો કબૂતરને ગોળ ચાવી દબાવવાથી ખોરાક ન મળે અને ઉંદરને સળિયો દબાવવાથી ખોરાક ન મળે તો ગોળ ચાવી દબાવવાની અને સળિયો દબાવવાની ક્રિયા ક્રમશઃ ઘટતી જાય છે અને ત્યારબાદ સંપૂર્ણ બંધ થઈ જાય છે. જો કે થોડે થોડે વખતે ખોરાક પૂરો પાડવાથી અભિસંધાન ચાલુ રહે છે. સ્કિનર આને આંશિક સુદંઢક (Partial Reniforcer) કહે છે. 
કારક અભિસંધાન સિદ્ધાંતનું મૂલ્યાંકન : 
સ્કિનરે પાવલોવથી પણ એક ડગલું આગળ જઈને આપન્ન પ્રતિચારોનું અભિસંધાન કરીને પ્રાણીનાં અનેક પ્રકારનાં સામાન્ય વર્તનોનું કારક અભિસંધાન દ્વારા ઘડતર થઈ શકે છે તેમ પ્રતિપાદિત કર્યું છે. 
આ સિદ્ધાંતનો વિનિયોગ શિક્ષણક્ષેત્રે અને બાળઉછેર જેવા ક્ષેત્રોમાં સહેલાઈથી થઈ શકે છે. 
સુદઢીકરણ પત્રકો સ્કિનરનું આગવું પ્રદાન છે. 
અભિસંધાનમાં ગૌણ ઉદીપક પણ અસરકારક છે, તેવું દર્શાવી પ્રાણીઓ અને મનુષ્યો પાસે ગૌણ ઉદ્દીપકો વડે વર્તન કરાવવા. માટે કરકસરયુક્ત રસ્તો બતાવ્યો છે.
શિક્ષણક્ષેત્રે શૈક્ષણિક ટેકનોલોજી આધારિત અભિક્રમિત અધ્યયન એ આ સિદ્ધાંતનું મહત્ત્વનું પ્રદાન છે. 
બાળકોના સંવર્ધન અને વિકાસ માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક પારણું તૈયાર કરાવ્યું, જે માતા - પિતા માટે ઉપકારક છે. 

કારક અભિસંધાન સિદ્ધાંતની મર્યાદાઓ : 
સ્કિન કારક અભિસંધાનના સિદ્ધાંત દ્વારા અભિક્રમિત અધ્યયન, ટીચિંગ મશીન વગેરે ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું હોવા છતાં વર્તનની વારંવારિતા વધે છે. આ બાબત સાચી હોવા છતાં વર્તન માટે સુદઢીકરણ ઉપરાંત સહજવૃત્તિનો પણ ફાળો હોય છે. આથી તમામ વર્તનોનું ઘડતર સુદૃઢીકરણ વડે શકય બને છે, તેવું માનવું વધારે પડતું છે. 
સ્કિનરના મંતવ્ય મુજબ, વર્તનો યાંત્રિક રીતે થતાં હોય છે. આથી અધ્યયનનાં તર્ક, બુદ્ધિ કે સૂઝની જરૂરિયાત નથી. યોગ્ય ઉદ્દીપક, યોગ્ય સુદંઢકો અને યોગ્ય અભિસંધાનથી માણસ જેવો બનાવવો હોય તવો બનાવી શકાય છે. આધુનિક મનોવિજ્ઞાનીઓના મંતવ્યાનુસાર, વર્તનના ઘડતરમાં તર્ક, બુદ્ધિ અને સૂઝ પણ હોય છે અને ઉદીપક અને પ્રતિચારની વચ્ચે ઘણી પ્રક્રિયાઓ આકાર લે છે. 
કારક અભિસંધાનના શૈક્ષણિક ફલિતાર્થો : 

સ્કિનરના કારક (ક્રિયા પ્રસૂત) કે સાધનભૂત અભિસંધાનનો શૈક્ષણિક ફલિતાર્થ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય. 
  • શાળામાં શિક્ષક દ્વિતીય કક્ષાનાં સુદઢકોનો ઉપયોગ કરીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવી શકે છે. શિક્ષક વિદ્યાર્થીઓને ઇનામ, પ્રમાણપત્ર અથવા પ્રશંસાત્મક શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકે. ઘણું સરસ, શાબાશ, Very Good શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વધુ અધ્યયન માટેની પ્રેરણા પૂરી પાડી શકે. 
  • વિદ્યાર્થીઓ પ્રશ્નોના સાચા ઉત્તરો આપે ત્યારે તેમની પ્રશંસા કરીને, શાબાશ, ઘણું સરસ.... એવા શબ્દોથી બદલો આપે તો જવાબ આપવાની ક્રિયાનું સુદઢીકરણ થાય છે.
  • ગૌણ કક્ષાના સુદઢકો - ચહેરાના હાવભાવ, સફળતાની લાગણી વગેરેનો વર્ગશિક્ષણમાં ઉપયોગ કરવો. 
  • કારક અભિસંધાન દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત ફેરફારો લાવી શકાય છે. 
  • વિદ્યાર્થીઓની શૈક્ષર્ણિક પ્રવૃત્તિઓમાં શિક્ષક શાબ્દિક કે અશાબ્દિક સુદંઢક યોગ્ય રીતે પૂરું પાડી શકે તો અધ્યયન અસરકારક બને છે. 
  • વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થી પોતાની શક્તિને અનુરૂપ પ્રગતિ કરી શકે તે માટે Teaching Machines અને અભિક્રમિત અધ્યયનનો ઉપયોગ કરવામાં આવે છે. 
  • શિક્ષા કે દંડ જેવા નકારાત્મક સુદંઢકોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. યોગ્ય પ્રતિચારે પ્રતિપુષ્ટિ આપવી અને અનુચિત પ્રતિચારને પ્રતિપુષ્ટિ આપવાનું ટાળવું. એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી વિદ્યાર્થી મહત્તમ સફળતા પ્રાપ્ત કરે. 
  • સફળ પ્રતિચાર વિદ્યાર્થીને વારંવાર ક્રિયા કરવા તરફ પ્રેરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષક મૂલ્યાંકન કસોટીઓના સાચા જવાબની તરત જ જાણ કરે તો તરત થતી જાણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. 
  • અભિસંધાન વડે વિદ્યાર્થીની અંધશ્રદ્ધા કે ભયની લાગણી દૂર કરી શકાય છે. 
  • વિદ્યાર્થીઓને સુયોગ્ય અનુભવો પૂરા પાડીને સારી અધ્યયન ટેવો વિકસાવી શકાય. 
  • કારક અભિસંધાન દ્વારા સમાજ, વ્યક્તિ કે દેશ પ્રત્યે પ્રેમ કેળવી શકાય.
B.Ed - Trainee, District Institute Of Education And Training ( DIET ) - Patan Affiliated with ( IITE ) Indian institute of Teachers Education - Gandhinagar

Post a Comment

Please do not enter any spam link in the comment box.