Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 1986

ભારતમાં આકાર લઈ રહેલી નવી સામાજિક - આર્થિક વ્યવસ્થાના અનુસંધાને ભારત સરકાર દ્વારા "શિક્ષણના પડકારો - નીતિગત પરિપ્રેક્ષ્ય" નામે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું, જે દસ્તાવેજ 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપમાં પરિણમ્યો. આ નીતિની પ્રમુખ વિશેષતાઓ નીચે મુજબ છે :
  1. 21 મી સદીની જરૂરિયાતો મુજબ બાળકોમાં જરૂરી કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવો. 
  2. એક ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનશીલ સમાજનું નિર્માણ કરવું. 
  3. પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર અને વિકાસ કરવો. 
  4. 14 વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમની રચના કરવી. 
  5. સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે. 
  6. સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી, અને જાળવી રાખવી. ટેકનિકલ જ્ઞાનક્ષેત્રે આત્મનિર્ભર બનવું . અને એના સંચાલન માટે આવશ્યક માનવબળ ઊભું કરવું. 
  7. 10 + 2 + 3 પદ્ધતિ આખા દેશમાં લાગુ કરવી. 
  8. આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો. જે ભારતની સાંસ્કૃતિક પરંપરા, સમાનતા, બિન - સાંપ્રદાયિકતા, લૈંગિક સમાનતા, પર્યાવરણ સુરક્ષા, સામાજિક ભેદભાવની સમાપ્તિ, વૈજ્ઞાનિક માનસના વિકાસ અને નાના કુટુંબની વિભાવના જેવાં મૂલ્યોને સ્પષ્ટ કરતો હોય. 
  9. શિક્ષણના દરેક સ્તર પર લઘુતમ અધ્યયન સ્તર (MLL - minimum levels of learning) નું નિર્ધારણ કરવું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં યોગ્યતાના આધારે પ્રવેશ આપવો. 
  10. રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યક્રમ, અનૌપચારિક તેમ જ મુક્ત અને દૂરવર્તી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1986 નો માધ્યમિક કક્ષાએ અમલ : 

1. એક સમાન શિક્ષણ માળખું : 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કોઠારી કમિશને 10 + 2 + 3 નું શૈક્ષણિક માળખું સૂચવ્યું હતું. જેનો મહ્દઅંશે સ્વીકાર થયો છે. સરકાર આગામી વર્ષોમાં ધો.10 સુધીના શિક્ષણને 5 + 3 + 2 ના માળખામાં એટલે 5 વર્ષ નિમ્ન પ્રાથમિક શિક્ષણ (ધો. 1 થી 5) , ત્રણ વર્ષ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો .6 થી 8) અને પછીનાં બે વર્ષ (ધો . 9-10) માધ્યમિક શિક્ષણમાં વિભાજિત કરશે. કેટલાંક રાજ્યોમાં આનો અમલ થઈ ગયો છે. કેટલાંક રાજ્યો આ પેટર્નનો હવે અમલ કરશે. 

2. એક સરખો અભ્યાસક્રમ : 
માધ્યમિક કક્ષાએ એકસરખો અભ્યાસક્રમ પાઠ્ય સામગ્રીમાં રાજ્યો પોતાની સ્થાનિક પરિસ્થિતિ, જરૂરિયાત અને આકાંક્ષાઓ મુજબ કેટલાક ફેરફારો કરી શકે છે.

3. હાર્દરૂપ તત્ત્વો 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે રાષ્ટ્રીય અભ્યાસક્રમનાં હાર્દરૂપ તત્ત્વો 
  • ભારતની સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ 
  • બંધારણીય જવાબદારીઓ 
  • રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષયવસ્તુ 
  • ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો 
  • જાતીય સમાનતા 
  • સર્વસમાનતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા 
  • પર્યાવરણ સુરક્ષા 
  • સામાજિક અવરોધો દૂર કરવા 
  • નાના કુટુંબના ધોરણનું પાલન 
  • વૈજ્ઞાનિક વલણની કેળવણી

4. કાર્યાનુભવ (Work- Experience) :
 માધ્યમિક કક્ષાએ કાર્યાનુભવને કોઠારી કમિશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે જોઈએ તો સુથારીકામ, ધાતુકામ, ચર્મકામ, ચિનાઈ માટીકામ, ખાદ્યપદાર્થોની જાળવણી, વીજળી સમારકામ, બુક બાઇન્ડિંગ, જમીન, સંરક્ષણ, સાદાં વૈજ્ઞાનિક સાધનોની બનાવટ, પાકસંભાળ જેવી પ્રવૃત્તિઓ સૂચવાઈ છે. ઈશ્વરભાઈ પટેલ સમિતિની ભલામણો અનુસાર ગુજરાત સરકારે કાર્યાનુભવમાં થોડો ફેરફાર કરી સમાજોપયોગી ઉત્પાદક શ્રમકાર્ય (SUPW - Socially Useful Productive Work) ના અમલની દિશામાં પગલાં લીધાં છે. 

5. પર્યાવરણ શિક્ષણ : 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1986 માં માધ્યમિક કક્ષાએ પર્યાવરણના શિક્ષણને સ્થાન અપાયું છે. પરંતુ માધ્યમિક કક્ષાએ તેનો અલગ વિષયના રૂપમાં સ્વીકાર થયો નથી. ગુજરાત જેવાં કેટલાંક રાજ્યોએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં ભૂગોળના વિષયને પર્યાવરણલક્ષી બનાવવાનો સારો પ્રયાસ કર્યાં છે. એ સિવાય વિજ્ઞાન અને ભાષાની પાઠ્યસામગ્રીમાં પણ પર્યાવરણના વિષય - વસ્તુને સાંકળી લેવાઈ છે. બી.એડ્.ના નવા અભ્યાસક્રમમાં Elective Subjectમાં પર્યાવરણ શિક્ષણનો વિષય સ્થાન પામ્યો છે. 

6. અધ્યેતાકેન્દ્રી શિક્ષણ : 
અધ્યેતાકેન્દ્રી શિક્ષણમાં અધ્યેતાને કેન્દ્રસ્થાને રાખી અધ્યયન - અધ્યાપન પ્રવૃત્તિઓ - પ્રયુક્તિઓની રચના કરવા બાબતે શિક્ષણ નીતિ 1986 પર ભાર મૂકે છે. 

7. વ્યવસાયલક્ષી શિક્ષણ : 
  • વ્યવસાયલક્ષી શિક્ષણને એક જુદો પ્રવાહ ગણી, એના અભ્યાસક્રમો માધ્યમિક શિક્ષણને અંતે અપાય તેવું સૂચન. 
  • વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો ગાળો 1 થી ૩ વર્ષ રાખવો. 
  • વ્યવસાયલક્ષી શિક્ષણના સંદર્ભમાં કોઠારી કમિશનની ભલામણો પછીના સમયમાં દેશના વિવિધ ભાગોમાં ટેકનિકલ હાઈસ્કૂલો, આઈ.ટી.આઈ. સંસ્થાઓ તથા પોલિટેકનિક સંસ્થાઓનું વિસ્તરણ થયું છે. 
  • હાલમાં ધો. 8 થી વિધાર્થીઓને ટેકનિકલ વિષયોમાં શિક્ષણ આપવાની જોગવાઈ છે. 
  • આઈ.ટી.આઈ. સંસ્થાઓમાં પણ ધો. 8 કે 9 પાસ કર્યા પછી પ્રવેશ મળી શકે છે. 
  • પોલિટેકનિક અભ્યાસક્રમોની +2 સ્તરે જોગવાઈ થયેલી છે.

8. સતત સર્વાંગી મૂલ્યાંકન : 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક એ બંનેનાં મૂલ્યાંકનનો સર્વાંગી મૂલ્યાંકન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન વિધાર્થીનું સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. 

9. નવોદય વિધાલયો : 
કોઠારી કમિશન દ્વારા ખાસ બુદ્ધિ - પ્રતિભા ધરાવતાં તેજસ્વી બાળકો માટે ગતિશીલ શાળાઓ સ્થાપવાની ભલામણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નવોદય શાળાઓ શરૂ કરવામાં આવી તેમાં ગ્રામ્ય વિસ્તારોના શક્તિશાળી વિધાર્થીઓને તેમની શક્તિ પ્રતિભા વિકસાવવાની તક મળે તેવો હેતુ રખાયો છે. આ હેતુને ધ્યાનમાં રાખી દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક નવોદય વિધાલય સ્થપાઈ છે. જે જિલ્લા કક્ષાએ મોડલ સ્કૂલની ભૂમિકા ભજવી રહી છે. 

10. શિક્ષક - પ્રશિક્ષણ : 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સેવાકાલીન શિક્ષણને મહત્ત્વનું સ્થાન અપાયું છે. દેશભરની શિક્ષણ કોલેજો પૈકી કેટલીક કોલેજોને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન (IASE) કે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશનમાં રૂપાંતર કરવાની જોગવાઈ કરેલી છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.